ગણેશોત્સવ! - નવલિકા

Related

ગણેશોત્સવ!

સાંજનો સમય હતો. રોહન લેપટોપ પર કંઈક ટાઈપ કરી રહ્યો હતો અને અદિતિ ડાઇનિંગ ટેબલ પર મહેમાનોનું લિસ્ટ ફાઇનલ કરવામાં પડી હતી. ઘરમાં એક અલગ જ એક્સાઈટમેન્ટ હતું!

ગણેશોત્સવ - નવલિકા
ગણેશોત્સવ - નવલિકા

"રોહન, તેં ડીજે વાળાને કન્ફર્મ કરી દીધું કે નહીં?" અદિતિએ પેન મોંમાં નાખતા પૂછ્યું.

"હા યાર, ક્યારનુંય! એનું એડવાન્સ પણ પેમેન્ટ કરી દીધું છે. આ વખતે તો આપણો ગણેશોત્સવ એકદમ ગ્રાન્ડ હોવો જોઈએ. ગયા વર્ષે પેલા શર્મા અંકલના ઘરે જે ડીજે હતું, એનાથી પણ બેટર ડીજે બુક કર્યું છે મેં." રોહને લેપટોપ બંધ કરતા ગર્વથી કહ્યું.

સોફા પર બેઠેલા નિરંજનભાઈ આ બધું સાંભળી રહ્યા હતા. એમના હાથમાં ગુજરાતી છાપું હતું, પણ ધ્યાન છાપામાં નહોતું. એમના ચહેરા પર એક અલગ પ્રકારની ઉદાસી હતી.

રોહને પોતાનો મોબાઈલ હાથમાં લીધો. "અદિતિ, મેં વ્હોટ્સએપ પર બ્રોડકાસ્ટ લિસ્ટ બનાવી દીધું છે. બધા રિલેટિવ્સ અને ફ્રેન્ડ્સને ઇન્વિટેશન સેન્ડ કરું છું. આપણા ઘરે પાંચ દિવસ માટે બાપ્પા આવે છે, એટલે ભીડ તો રહેવાની જ. તું નાસ્તા-પાણીનું પ્રોપર પ્લાનિંગ કરી લેજે. છેલ્લી ઘડીએ કોઈ મેસ-અપ ના જોઈએ."

નિરંજનભાઈથી હવે ના રહેવાયું. એમણે છાપું નીચે મૂક્યું, ચશ્મા કાઢીને ટીપોય પર મૂક્યા અને ઊંડો શ્વાસ લીધો.

"રોહન બેટા," દાદાએ શાંત અવાજે બોલાવ્યો.

"હા દાદા, બોલો ને." રોહન મોબાઈલ સ્ક્રોલ કરતા કરતા જ બોલ્યો.

"તું ઘરે ગણપતિ લાવે છે કે પછી કોઈ પબ્લિક ઈવેન્ટ ઓર્ગેનાઇઝ કરી રહ્યો છે?" દાદાના અવાજમાં સહેજ કડકાઈ હતી.

રોહન અને અદિતિ બંને આશ્ચર્યથી દાદા સામે જોવા લાગ્યા. રોહન ઊભો થઈને દાદા પાસે આવ્યો.

"અરે દાદા, એવું નથી! આ તો આજકાલનો ટ્રેન્ડ છે. આપણે 'સનાતની' છીએ, તો આપણા ફેસ્ટિવલ્સ પણ એકદમ જોરદાર રીતે સેલિબ્રેટ થવા જોઈએ ને! આમાં તો પ્રાઉડ ફીલ થવું જોઈએ." રોહને પોતાનો પોઈન્ટ રાખ્યો.

નિરંજનભાઈએ રોહનને પોતાની પાસે બેસાડ્યો. "બેટા, આપણે સનાતની છીએ એનો મને તારા કરતાં પણ વધારે ગર્વ છે. પણ શું તેં ક્યારેય શાંતિથી વિચાર્યું છે કે આપણા આ ફેસ્ટિવલ્સ કઈ દિશામાં જઈ રહ્યા છે?"

"એટલે તમે એક્ઝેટલી શું કહેવા માંગો છો દાદા?" અદિતિ પણ પોતાની ખુરશી પરથી ઊભી થઈને સોફા પાસે આવી ગઈ.

"બેટા સનાતનમાં મૂર્તિની સ્થાપનાથી લઈને વિસર્જન સુધીની યાત્રા, એ ખરેખર તો કોઈ દેખાડો નથી. એ તો સાકારથી નિરાકાર સુધીની એક આધ્યાત્મિક સાધના છે." દાદાનો અવાજ થોડો ભારે થયો.

રોહને દાદાની વાત વચ્ચે જ કાપી. "દાદા, આપણે પણ ઘરે પૂજા, આરતી અને થાળ તો કરવાના જ છીએ ને. એમાં ખોટું શું છે?"

"તને થોડું કડવું લાગશે બેટા, પણ રિયાલિટી એ છે કે આપણે જ આપણા ધર્મનો સત્યાનાશ વાળી રહ્યા છીએ." નિરંજનભાઈ થોડા આગળ ઝૂક્યા. "આપણા ઋષિમુનિઓએ દરેક તહેવારને નેચર અને સાયન્સ સાથે કનેક્ટ કરીને આપણને એક ઉત્તમ વારસો આપ્યો હતો. પણ આજે આપણે એનું શું કરી નાખ્યું છે?"

"કેવી રીતે દાદા? આપણે તો સેલિબ્રેટ જ કરીએ છીએ ને!" અદિતિએ પૂછ્યું.

"તું આજે પેલી ગણપતિની મૂર્તિ ફાઇનલ કરવા ગયો હતો ને? કેવી હતી મૂર્તિ?" દાદાએ રોહનને સીધો સવાલ કર્યો.

રોહનના ચહેરા પર ચમક આવી ગઈ. "એકદમ મસ્ત હતી દાદા! પાંચ ફૂટની મોટી મૂર્તિ છે. એકદમ ચમકતા કલર્સ, આકર્ષક ડિઝાઇન. મેં તો એડવાન્સ પણ આપી દીધું છે. કાલે ડિલિવરી લેવા જવાનું છે."

"પણ એ મૂર્તિ શેની બનેલી છે એ પૂછ્યું તેં ક્યારેય? એ પીઓપી અને કેમિકલવાળા ઝેરી કલરોથી બનેલી છે!" નિરંજનભાઈની આંખોમાં ગુસ્સો અને દુઃખ બંને સ્પષ્ટ દેખાતા હતા.

"અરે દાદા, હવે માર્કેટમાં એવું જ મળે છે. માટીની મૂર્તિઓ તો સાવ નાની અને ડલ હોય છે. એમાં કોઈ ગેટ-અપ જ નથી આવતો. પીઓપીની મૂર્તિના કલર્સ કેટલા વાઈબ્રન્ટ હોય છે!" રોહને પોતાનો બચાવ કર્યો.

"આપણા ધર્મમાં ફિઝિકલ અને મેન્ટલ પ્યોરિટી સૌથી પહેલી શરત છે રોહન." દાદાએ ધીરજથી સમજાવતા કહ્યું.

"જે લોકો આ મૂર્તિઓ બનાવે છે, એમની જગ્યા કેટલી હાઇજિનિક છે એ તેં ક્યારેય નોટિસ કર્યું છે? જ્યાં નોન-વેજ ખવાતું હોય, આલ્કોહોલ પીવાતો હોય, આસપાસ એટલી ગંદકી હોય... એવી જગ્યાએ આપણા દેવની મૂર્તિઓ બને છે!"

રોહન પાસે આ વાતનો કોઈ જવાબ નહોતો. એણે ખરેખર ગોડાઉન પાસેની ગંદકી જોઈ હતી, પણ એણે ક્યારેય આ એંગલથી વિચાર્યું જ નહોતું. એ ચૂપચાપ સાંભળી રહ્યો.

"અને પછી આપણે શું કરીએ છીએ? એ જ મૂર્તિને ડીજે ના કાન ફાડી નાખે એવા ઘોંઘાટ અને ઢોલ-નગારા સાથે ઘરે લાવીએ છીએ! ક્યાં આપણા શાસ્ત્રોમાં બતાવેલી પ્યોરિટી, ભક્તિ અને એકાંત સાધના... અને ક્યાં આજનો આ ઘોંઘાટ અને શો-ઓફ!" દાદાના સવાલો રોહનના મગજમાં હથોડાની જેમ વાગી રહ્યા હતા.

અદિતિ પણ હવે વિચારમાં પડી ગઈ. એણે લિસ્ટ વાળું પેપર ટેબલ પર મૂકી દીધું. "વાત તો તમારી સાચી છે દાદા. આપણે ક્યારેય આ ઉંડાણપૂર્વક વિચાર્યું જ નહોતું."

"દીકરા, આપણા શાસ્ત્રોમાં ગણેશોત્સવ એ ચોથથી ચૌદશ સુધીનું પૂરા અગિયાર દિવસનું સ્પેશિયલ અનુષ્ઠાન છે. અત્યારે તો કોઈ દોઢ દિવસ, કોઈ ત્રણ તો કોઈ પાંચ દિવસ માટે ગણપતિ લાવે છે. આવું ક્યાં લખ્યું છે?" દાદાએ સવાલ પૂછ્યો.

"પછી ઘરે લાવીને પંડિતો પાસે ગમે ત્યારે સ્થાપન કરાવી દઈએ. પંડિતો પાસે પણ ટાઈમ નથી હોતો. અડધા મંત્રોચ્ચાર તો અસ્પષ્ટ હોય, આપણને સમજાય જ નહીં!" દાદાએ વાસ્તવિકતા વર્ણવી.

"પણ દાદા, આપણે તો શ્રદ્ધાથી જ બાપ્પાને લાવીએ છીએ ને." રોહને ધીમેથી કહ્યું, પણ એના અવાજમાં હવે પહેલા જેવો કોન્ફિડન્સ નહોતો.

"બેટા, સાચી સાધના કોને કહેવાય ખબર છે? એક જ જગ્યાએ બેસીને, દીવો પ્રજ્વલિત રાખીને નિયમિત મંત્રોચ્ચાર કરવાના હોય. ફેમિલી મેમ્બર્સે ઉપવાસ રાખવાના હોય." દાદાએ સ્પષ્ટતા કરી.

"આપણા ઘરમાં એકદમ સાયલન્સ મેન્ટેન કરવાનું હોય. બહારની વ્યક્તિઓ માટે તો એન્ટ્રી પણ પ્રતિબંધિત હોય છે! અને અત્યારે શું થાય છે?"

"તમે જ લોકો વ્હોટ્સએપ પર ઇન્વિટેશન મોકલો છો કે 'અમે ગણપતિ બેસાડ્યા છે, દર્શન કરવા આવજો!' આખો દિવસ મહેમાનોની અવરજવર, નાસ્તા-પાણી અને ઘરમાં ફિલ્મી સોંગ્સ વાગતા હોય!"

દાદાની વાત સાંભળીને રોહનને પોતાનો જ વ્હોટ્સએપ મેસેજ યાદ આવી ગયો જે એણે હમણાં જ ટાઈપ કર્યો હતો. એણે ચૂપચાપ મોબાઈલ સ્ક્રીન ઓફ કરી દીધી.

"સાચું કહેજે રોહન, તેં ક્યાંય કોઈના ઘરે કે પબ્લિક પંડાલમાં સળંગ ગણપતિના મંત્રોચ્ચાર કે શાસ્ત્ર પઠન થતું જોયું છે? આને ઉપાસના કહેવાય? આને આરાધના કહેવાય?" દાદાએ કડવું પણ સત્ય પૂછ્યું.

રોહને માથું નીચું કરી લીધું. એને સમજાઈ રહ્યું હતું કે પોતે જે પ્લાનિંગ કરી રહ્યો હતો, એમાં ભક્તિ ઓછી અને શો-ઓફ વધારે હતો. એને બસ લોકોમાં વટ પાડવો હતો.

"અને વિસર્જનની તો વાત જ શું કરવી! ડીજે ના બીટ્સ પર, સાવ વલ્ગર ગીતો પર ડાન્સ કરતા કરતા વિસર્જન યાત્રા નીકળે છે." નિરંજનભાઈનો અવાજ હવે બહુ જ દુઃખી લાગી રહ્યો હતો.

"નદી કે તળાવમાં એ મૂર્તિઓની કેવી હાલત થાય છે એ તો આપણે સૌ જાણીએ જ છીએ. આ બધું જોઈને એક સનાતની તરીકે મારો આત્મા દ્રવી ઊઠે છે બેટા."

રૂમમાં એકદમ શાંતિ છવાઈ ગઈ. બહાર રોડ પરથી પસાર થતી કોઈ કારનો અવાજ જ માત્ર સંભળાઈ રહ્યો હતો! રોહન અને અદિતિ બંને દાદાની વાત પચાવવાનો પ્રયત્ન કરી રહ્યા હતા !!

થોડીવાર પછી રોહને માથું ઊંચું કર્યું. "તો હવે આપણે શું કરવું જોઈએ દાદા? મેં તો મૂર્તિવાળાને એડવાન્સ પણ આપી દીધું છે અને ડીજે પણ બુક થઈ ગયું છે." રોહન હવે ખરેખર મૂંઝવણમાં હતો.

દાદાએ રોહનના ખભા પર હાથ મૂક્યો. "બેટા, રિયાલિટી સ્વીકારવી એ જ સૌથી મોટું પહેલું સ્ટેપ છે. મારો ઈરાદો તારી લાગણી દુભાવવાનો બિલકુલ નહોતો. મારે માત્ર તારા મગજમાં એક અવેરનેસ લાવવી હતી. ધર્મના નામે જે દેખાડો થઈ રહ્યો છે, એનો આપણે હિસ્સો નથી બનવું." દાદાએ મક્કમતાથી કહ્યું.

"પણ દાદા, હવે કેન્સલ કરીશ તો બધા ફ્રેન્ડ્સ શું કહેશે? એ લોકો મારી મજાક ઉડાવશે કે રોહન તો સાવ 'બોરિંગ' થઈ ગયો છે." રોહનના મનમાં હજુ સોસાયટીનો ડર હતો.

અદિતિ રોહનની પડખે આવીને ઊભી રહી. "બીજા શું કહેશે એના કરતા આપણા ધર્મ અને નેચર માટે શું સાચું છે, એ વધારે ઈમ્પોર્ટન્ટ છે ને રોહન? દાદાની વાત સો ટકા સાચી છે."

નિરંજનભાઈ હસ્યા. "આપણે અવેર થઈએ રોહન. પીઓપી ની જગ્યાએ માટીની ઈકો ફ્રેન્ડલી મૂર્તિ લાવીએ. ઘોંઘાટ અને શો-ઓફથી દૂર રહીને પારંપરિક રીતે અને શાંતિથી પૂજા કરીએ."

"પણ દાદા, એવી માટીની મૂર્તિ અત્યારે છેલ્લી ઘડીએ ક્યાં મળશે? અને માટીની મૂર્તિનું વિસર્જન ક્યાં કરીશું?" રોહન હજુ પ્રેક્ટિકલ પ્રોબ્લેમ્સ વિચારી રહ્યો હતો.

દાદાના ચહેરા પર એક નાનકડું સ્મિત આવ્યું. "એની ચિંતા તું છોડી દે. મારી પાસે એક પરફેક્ટ આઈડિયા છે. આપણે ક્યાંય બહાર વિસર્જન કરવા જવાની જરૂર જ નથી."

"તો પછી ક્યાં કરીશું વિસર્જન?" અદિતિએ આશ્ચર્યથી પૂછ્યું.

"આપણે ઘરે જ, આપણા ગાર્ડનના કુંડામાં બાપ્પાનું વિસર્જન કરીશું! જેથી એન્વાયરમેન્ટનું પણ રક્ષણ થાય અને બાપ્પા કાયમ માટે આપણા ઘરે જ રહે." દાદાએ હસીને કહ્યું.

રોહન અને અદિતિ બંને એકબીજાની સામે જોઈ રહ્યા. દાદાની વાતમાં એક ગજબની શાંતિ, સચ્ચાઈ અને લોજીક હતું.

"ડન દાદા! હું અત્યારે જ પેલા ડીજે વાળાને કોલ કરીને બુકિંગ કેન્સલ કરું છું." રોહને પોતાનો મોબાઈલ હાથમાં લીધો. એના ચહેરા પર હવે કોઈ મુંઝવણ નહોતી.

"અને હું વ્હોટ્સએપ પર બધાને નવો મેસેજ ડ્રાફ્ટ કરીને મોકલું છું. એકદમ શાંત અને સ્પિરિચ્યુઅલ ગણેશોત્સવનું ઇન્વિટેશન! જેમાં કોઈ શો-ઓફ નહીં હોય, માત્ર દર્શન અને ભક્તિ હશે." અદિતિ પણ એક્સાઇટેડ થઈ ગઈ.

બીજા દિવસે રોહન અને દાદા બંને બજારમાં ગયા. પીઓપી વાળાને આપેલું એડવાન્સ જતું કર્યું અને શહેરમાં છેવાડે રહેતા એક કુંભાર પાસેથી શુદ્ધ માટીની બનેલી સુંદર મૂર્તિ લઈ આવ્યા. એ મૂર્તિ જોઈને અંદરથી જે પ્રકૃતિ રક્ષણ નો ભાવ જન્મતો હતો એ અદભૂત હતો !!

આગલા પાંચ દિવસ ઘરમાં ન તો કોઈ ડીજે વાગ્યું ન કોઈ ઘોંઘાટ થયો પણ દાદાના અવાજમાં ગુંજતા મંત્રોચ્ચાર અને ગૂગળના ધૂપની સુગંધથી આખું ઘર મહેકી ઉઠ્યું !!

જ્યારે વિસર્જનનો દિવસ આવ્યો, ત્યારે રોહને ઘરના આંગણામાં જ એક મોટા કુંડામાં પાણી ભરીને બાપ્પાને વિદાય આપી. અને માટી ધીમે ધીમે પાણીમાં ઓગળી ગઈ હતી !! 

■ હરેકૃષ્ણ ..(વૉટ્સએપ: 7878222218)

Thanks for visit this Post, Be sure to check out our homepage for the Latest Posts and Stay connected with us for more Posts.

1 Comments

Thank you so much for your feedback 😊

  1. હરેકૃણ ભાઈ,
    ગણેશોત્સવ વાર્તા ના સ્વરૂપ માં આપના દ્વારા જે આપણી પરંપરા અને સંસ્કૃતિ નું સનાતન ના સુંવાળા મખમલી આવરણ નીચે સત્યાનાશ કરવાય જઈ રહેલી અત્યાર ની પેઢી ને અરીસો બતાવવા માટેનો પ્રયાસ એક મેસેજ આપવા પ્રયત્ન કરેલ છે,
    ખરેખર ઉમદા પ્રયાસ છે,
    આવા કર્યું માં હંમેશા કવિઓ અને લેખકો નો વિશેષ ફાળો રહેલો છે,
    આવા પ્રયાસો ચાલુજ રહે તેવી શુભેચ્છા.
    સાથે સાહેબ આપણા દરેક તહેવાર નો મૂળ ઢાંચો બદલાઈ રહ્યો છે, તહેવારો હિંસક બની રહ્યાં છે, દા. ત. નવરાત્રી વર્ણન ની જરૂર નથી.દિવાળી. લક્ષ્મી પૂજન પછી લક્ષ્મી છો ટેટા ( ફટાકડાં ) સંક્રાંત ગળા કપાઈ , મારામારી , ઉતાસણી આખી રાત જુગાર અને....
    ભીમ અગિયારસ જુગાર આ તહેવાર ને માટે આપનો મેસેજ સ્વરૂપ નો ચાબુક ની ધાર કાઢ જો સાહેબ,
    આ તો જુની પેઢી ના છીએ એટલે ગુસ્સો નહીં પણ આક્રોશ સાથે જણાવેલ છે.
    અતિ થયું હોય તો માફ કરશો. 🙏

    ReplyDelete
Previous Post Next Post
"નવા વાચકો માટે ☞ નવલકથાઓ વાંચવા માટે વેબસાઈટમાં નીચે સ્ક્રોલ કરો. 'Main Tags' માં તમારી મનપસંદ નવલકથાના નામ પર ક્લિક કરો અને એકથી એક ચડિયાતી નવલકથાઓની મજા માણો!"