પપ્પા ની પ્રેરણા ફળી (Pappa Ni Prerna)

"પપ્પા ની પ્રેરણા ફળી" 
*************************શરદ મણીયાર
વ્હેલી પરોઢની મીઠી નિંદ્રામાં પોઢી કોઈ મધુર સ્વપ્ન નીરખતી મિતાલી સ્વપ્ન લોક થી જાણે ધરતી પર ફંગોળાઈ ગઈ હોય એ રીતે ડોરબેલના રણકારથી સફાળી બેઠી થઈ, અને અર્ધ નિંદ્રામાં આંખોને ચોળતી સ્વતઃ બોલી "કેટલા વાગ્યા? આટલી વહેલી સવારે વળી મારા ઘરે કોણ આવ્યું હશે?"

AVAKARNEWS
પપ્પા ની પ્રેરણા

ત્યાં તો બીજી વાર ડોરબેલ રણકી. રણકતી ડોરબેલ નો આક્રંદ વધુ સહન ન થતા એણે તરત પથારી છોડી બેડરૂમમાંથી મેન ગેટ સુધી પહોંચી ત્યાં ત્રીજીવાર ડોરબેલ વાગી. અર્ધ નિંદ્રા ની મધુર મીઠાશ તો ડોહળાઈ જ ગઈ હતી અને એના ઉપર કોઈ આ રીતે વારંવાર ડોરબેલ વગાડીને એના મસ્તક પર જાણે હથોડો વિંઝી રહ્યું હોય એટલા ગુસ્સાથી એણે દરવાજો તો ખોલ્યો પણ સામે પ્રગટેલા એક વયોવૃદ્ધ આગંતુક ને જોઈને મિતાલી ક્ષણભર માટે અવાક્ બની ગઈ અને બીજી જ ક્ષણે પોતાના મનોબળને સાબુત રાખી પૂછી લીધું, "અ, અ,, અંકલ, આપ કોણ છો? ક્યાંથી આવો છો?" અને આવનાર વ્યક્તિની મનોદશા નો ચિતાર કાઢી લીધો અને એણે જાણી લીધું કે આવનાર આ વૃદ્ધ સજ્જન રાત્રીની મુસાફરી કરીને સીધા સ્ટેશનથી અહીંયા જ આવ્યા છે. પણ મિતાલી એની મૂંઝવણમાં વધુ ગુંચવાય એ પહેલાં જ એ વૃદ્ધ સજ્જને એક કવર મિતાલીના હાથમાં સોંપી દીધું અને એટલું જ બોલ્યા કે, "બેટા, હું નારણદાસ છું, મુંબઈથી આવું છું અને તમારા પપ્પાનો ખાસ મિત્ર છું. એમણે જ મને તમારી પાસે મોકલ્યા છે, અને આ પત્રમાં બધી વિગતવાર માહિતી લખી છે, જો તમે વાંચશો તો તમને બધું ખ્યાલ આવી જશે".

"પપ્પા, યુ મીન, મારા પપ્પાએ તમને મોકલ્યા છે!" મિતાલીની મૂંઝવણ એ હવે નવું ખાતું ખોલ્યું. "તમે પહેલા એમનો આ પત્ર વાંચી લેશો તો તમને બધો ખ્યાલ આવી જશે". એ વૃદ્ધ સજ્જન ને ઉત્તર વાળ્યો. "પપ્પાનું કહેણ લઈને કોઈ આવ્યું હોય તો એ મારા માટે પપ્પા જ સાક્ષાત આવ્યા બરાબર કહેવાય" એવું મનોમન વિચારીને મિતાલી એ તત્ પૂરતો એના રઘવાટ પર કાબુ મેળવ્યો અને એ સજ્જન ને સન્માન પૂર્વક પોતાના ઘર માં પ્રવેશ આપ્યો. "અંકલ, પ્લીઝ બેસો, હું પાણી લઈને આવું છું તમારા માટે".

ત્યારબાદ મિતાલી એ અતિ તીવ્રતાપૂર્વક પપ્પા ના એ પત્રને મનોમન વાંચવાનું શરૂ કર્યું. લખ્યું હતું, "મારી વ્હાલી દિકરી મિતા, આવનાર વ્યક્તિ શ્રી નારણદાસ સોલંકી મારી સોસાયટીમાં જ રહે છે અને અમારી વચ્ચે ઘણા લાંબા સમયથી સારી મિત્રતા છે. ચાર મહિના પહેલા દુર્ભાગ્યવશ એમના એકના એક જુવાનજોધ દીકરાનું રોડ અકસ્માતમાં મૃત્યુ થયું હતું. એ દીકરો કોઈ બહુ મોટી આઈટી કંપનીમાં સારી પોસ્ટ ઉપર જોબ કરતો હતો. એ એમનો એક માત્ર કમાઉ દીકરો હતો. આમ તો મા બાપના જવાથી સંતાન અનાથ થઈ જાય છે પણ એકના એક કમાઉ દીકરાના જવાથી નારણદાસભાઈ અને એમની પત્નીની હાલત અનાથ કરતા પણ વધુ બદતર થઈ ગઈ છે. એમનો દીકરો જે કંપનીમાં કામ કરતો હતો ત્યાંથી એમને સારું એવું વળતર મળવાનું છે પણ કંપનીના કાયદાની આટી-ઘૂંટીના ચક્કર, અટપટી અને અવનવી વિધિઓના ચક્રવ્યુમાં તેવો એટલા બધા અટવાઈ ગયા છે કે એ પૈસા મળવાની શક્યતા નહિવત જેવી લાગી રહી છે, તેથી તેઓ ખૂબ પરેશાન છે. અને એમની બાકીની જિંદગી ને માનભેર વિતાવવાનો આધાર કંપની તરફથી મળનાર આ વળતર પેટેની મોટી રકમ જ છે. તેથી એ વિધિ ને પરીપૂર્ણ કરવા માટે છેવટે એમણે આ કંપનીની હેડ ઓફિસ ચેન્નાઈ ખાતે જઈને બધા પેપર્સ પાસ કરાવવા જરૂરી બન્યા છે. તો આ મારા મિત્રને બહુ મોટી રાહત મળી જાય એમ છે, અને એટલે જ મેં એમને તારી પાસે મોકલાવ્યા છે, તો જો તું એમને મદદ કરી શકીશ તો એક અતિ પુણ્યનું કામ પાર પાડવામાં તું સહભાગી બનીશ અને હું મારી જાતને ધન્ય માનીશ."

પપ્પા નો આ પત્ર આંખો સામે અને પત્રની પેલી પાર બેઠેલા નારણદાસ સોલંકી નો ચૂંથાયેલો ચહેરો બંને એક સાથે વાંચતા એની પણ પાંપણો છલકાઈ ગઈ, પણ આંસુઓને રોકીને એની વાણીને પ્રવાહ આપ્યો, "અંકલ, હું બધું સમજી ગઈ છું. હવે તમે કોઈપણ જાતની ચિંતા નહીં કરો. હું તમારી સાથે એ કંપનીની હેડ ઓફિસમાં આવીને તમને આ વળતર મળે એ બદલ સંપૂર્ણ પ્રયાસ કરવા તૈયાર છું, તો તમે નાહી-ધોઈને તૈયાર થઈ જાઓ, આપણે તરત જ નીકળવું પડશે કારણ કે આટલી મોટી કંપનીમાંથી તમારું કામ કરવા માટે કેટલો સમય લાગશે એ ખબર નથી". પણ નારણદાસ બોલ્યા, "અરે બેટા, તમારે તો ઓફિસ જવાનું હશે ને?" મિતાલી એ ઝીણું મુસ્કુરાઈને ઉત્તર આપ્યો, "અરે અંકલ, નો પ્રોબ્લેમ, આમ પણ મારી ઘણી બધી રજાઓ લેવાની બાકી જ છે, એમાંથી જો આજે એક રજા વાપરીશ તો કોઈ વાંધો નહીં આવે, તમે તૈયાર થઈ જાવ". અને નારણદાસભાઈ તૈયાર થવા બાથરૂમમાં ગયા કે તરત મિતાલીએ એક-બે ફોન કરી પોતાની બધી તૈયારી સંપન્ન કરી લીધી.

લગભગ બે કલાકના અંતરાલ બાદ બંનેવ તૈયાર થઈને નારણદાસના દીકરાની કંપની ની હેડ ઓફિસ જવા તૈયાર થઈ ગયા. કંપની સુધી પહોંચતા લગભગ 40 મિનિટનો સમય લાગ્યો હશે એ દરમિયાન મિતાલીએ એમની પાસેથી એમના દીકરા વિશે અને કંપની વિશે બધી જરૂરી વાતો જાણી લીધી. બાદ એક ખૂબ જ મોટા કેમ્પસ જેવા વિશાળ એરિયામાં આવેલી GVS કંપનીના મુખ્ય કાર્યાલય ના ગગનચુમ્બી ઇમારતના 36 માં માળે પહોંચીને મિતાલીએ સૌ પ્રથમ ત્યાંના જનસંપર્ક અધિકારીની મુલાકાત લીધી, અને એમની સાથે નારણદાસભાઇના દીકરાની વિગતવાર માહિતી આપી અને સાથે લાવેલ બધા દસ્તાવેજો આપ્યા. છેવટે એ બંનેની ચર્ચા ના અંતે એ અધિકારીએ અન્ય એક એમના ઉપરી પાસે મળવા મોકલ્યા. ત્યાંથી બીજા એક અધિકારીને અને બીજી અન્ય છૂટી છૂટી કાર્યવાહી પતાવ્યા બાદ છેવટે એમને લગભગ બે ત્રણ કલાક રાહ જોવાનું કહેવામાં આવ્યું. પણ જે રીતે મિતાલીએ પોતાની કાર્યદક્ષતા અને ઉત્સાહથી આ બધી વિધિઓ પાર પાડી અને અલગ અલગ નાના મોટા અધિકારીઓની સાથે ચર્ચા વિચારણા કરતા જોઈ એમને મનોમન ખાતરી થવા લાગી હતી કે એમનો અહીં સુધી આવવાનો ફેરો ફોગટ તો નહીં જ જાય અને આજે જ એવો મુંબઈ જવા રવાના થઈ શકશે.

બાદ, ઢળતી સાંજે લગભગ સાડા પાંચ વાગે ઓફિસ બંધ થવા નો સમય થઈ રહ્યો હતો અને એમના મનનો ઉચાટ વધુ ઊંચાઈએ પહોંચે એ પહેલા જ એક કારકુન જેવી વ્યક્તિએ આવીને એમને જણાવ્યું કે કોઈ શ્રીધર સાહેબ એમને એમની કેબિનમાં બોલાવે છે. શ્રીધર સાહેબ આ કંપનીમાં કોઈ ઊંચા અને મહત્વના હોદ્દા પર હશે એ એમની વિશાળ કેબિનમાં પહોંચ્યા બાદ કળાઈ ગયું, પણ હવે શું થશે એ જાણવા અધ્ધર જીવે બંને જણાએ એમની સામે બેઠક લઈ લીધી. પણ શ્રીધર સાહેબે તરત જ કહેવા માંડ્યું, "સોલંકી સાહેબ, સૌ પ્રથમ તો આપના હોનહાર દીકરા રોહિત સોલંકી નું આ રીતે અચાનક જતું રહેવું એ બદલ અમારી કંપનીને પણ ઘણું જ દુઃખ થયું છે. એમના જેવા એક અત્યંત કાબિલ અને ઈમાનદાર ઓફિસરને ગુમાવ્યા નો રંજ અમને કાયમ રહેશે. અમને માફ કરજો કે રોહિતને મળનાર વળતર મેળવવા માટે આપને આટલી રાહ જોવી પડી અને છેક અહીંયા સુધી આવવું પડ્યું, પણ સાહેબ, અમને ખુશી એ વાતની પણ એટલી જ છે કે કંપનીએ એના વળતર પેઠે રૂપિયા 25 લાખ મંજૂર કર્યા છે અને આજે જ તમારો ચેક પણ તૈયાર થઈ ગયો છે જે મને આપને સોંપતા ખૂબ ખુશી થાય છે, કૃપા કરીને એનો સ્વીકાર કરો". ખૂબ જ વિસ્મયજનક નજરે નાારણદાસે મિતાલીને જોઈ, મિતાલીની પહોળી થઈ ગયેલી બંને આંખો હર્ષના આંસુઓથી છલકાઈ ગઈ. અને તેમણે લથડતા પગે ઊભા થઈ ધ્રુજતા હાથે એ ચેક તો સ્વીકારી લીધો પણ હરખ અને શોકનું ડુસકુ રોકી શક્યા નહીં. કંપનીના વિશાળ સંકુલમાંથી બહાર આવ્યા બાદ મિતાલી એ પૂછ્યું, "અંકલ બોલો, હવે શું કરવું છે?". નારાયણદાસ બોલ્યા, "બસ કંઈ નહિ બેટા, હવે મને કોઈ વાહન ગોતી દો તો હું સીધો રેલવે સ્ટેશન જતો રહીશ". તો મિતાલી બોલી, "જરૂર અંકલ, હું તમને સ્ટેશને મૂકીને મારા ઘરે જતી રહીશ". અને નારાયણદાસે નતમસ્તકે હા પાડી. રેલવે સ્ટેશન પહોંચ્યા બાદ મિતાલી એમને પ્લેટફોર્મના મેઈન ગેટ સુધી લઈ ને એમને વિદાય આપવા ગઈ ત્યારે નાદણદાસ ખૂબ જ ગળગળા થઈ બંને હાથ જોડીને બોલ્યા, "બેટા, તમારો આ ઉપકાર હું ક્યારે'ય નહીં ભૂલી શકીશ અને આવતીકાલે જ મુંબઈ પહોંચીને સૌપ્રથમ તમારા પપ્પાને ખુબ ખુબ અભિનંદન આપીશ કે તમારા જેવી પરોપકારી પુત્રીને પામીને તેઓ કેટલા ધન્ય થઈ ગયા છે". અને હવે મિતાલીએ જે પ્રત્યુતર આપ્યો એ સાંભળીને એમના પગ તળિયેથી જમીન સરકી ગઈ. "પપ્પા? you mean તમારા મિત્ર શાંતિભાઈ, ખરૂં ને?" તો નારણદાસે અચંબિત થઈ ને પુછ્યુ, "અરે બેટા, શાંતિભાઈ મારા મિત્ર તો છે જ પણ તમારા પપ્પા તો ખરા ને?" ત્યારે મિતાલી બોલી, "ના અંકલ, એ શાંતિભાઈ તમારા મિત્ર ખરા પણ મારા પપ્પા નથી, અને એમણે જે મિતા પાસે તમને મોકલાવી હતી એ મિતા પણ હું નથી". અને હવે એમની મૂંઝવણ એની પરાકાષ્ઠાએ પહોંચી, "તો, તો, તમે કોણ છો, અને તમારા પપ્પા કોણ છે?". "મારું નામ મિતાલી ઠક્કર છે, અને મારા પપ્પા સુમતિભાઈ ઠક્કર. પણ હવે એવો આ દુનિયામાં હયાત નથી રહ્યા". મિતાલી ના અકલ્પનીય જવાબ થી નારાયણદાસની બંને આંખો પહોળી થઈ ગઈ અને અસમંજસમાં શું બોલવું એ સમજાયું નહીં એટલે હવે મિતાલી એ આગળ ધપાવતા કહ્યું, "અંકલ આજે થયું એવું કે તમારે જે મિતા પારેખ ને મળવા જવાનું હતું એ, જે તમારા મિત્ર શાંતિભાઈ ની દીકરી છે, અને એ રહે છે "આદર્શ નગરમાં" પણ તમને રિક્ષાવાળાએ મારી "આદર્શ કોલની" માં ઉતાર્યા અને જોગાનુંજોગ એ મિતા પારેખનો બિલ્ડીંગ નંબર E2 છે અને મારી બિલ્ડીંગ નો નંબર પણ E2 જ છે, એટલે તમે ભૂલથી મારા ઘરે પહોંચી આવ્યા અને મારા પપ્પાના ખાસ મિત્ર તરીકે તમારો પરિચય આપ્યો. પછી તમારા મિત્ર શાંતિભાઈએ એમની દીકરી મિતાને ઉદ્દેશીને જે પત્ર લખ્યો હતો એ મને આપ્યો. બસ એ પત્ર વાંચતા વાંચતા મને મારા પપ્પાએ આપેલો એક બોધ યાદ આવી ગયો. તેમણે મને એકવાર કહેલું કે, "બેટા, આપણે કોઈ જાણીતી વ્યક્તિ માટે આપણો સમય ફાળવીને એની મદદ કરી શકીએ એ સારી વાત છે, પણ જિંદગીમાં ક્યારેક એવો પણ સમય આવી જાય કે કોઈ અજાણી વ્યક્તિને આપણી પાસે સમય ન હોય તો પણ એને મદદરૂપ થઈ શકીએ તો આપણી જિંદગી સાર્થક થઈ ગણાય, અને અંકલ આજે લગભગ એવું જ બન્યું કે તમે એક અજાણી વ્યક્તિ બનીને મારા આંગણે આવ્યા ત્યારે મારી પાસે સમય ન હતો. મારે ઓફિસે જવું જરૂરી હતું, તેમ છતાં મારા પપ્પાએ આપેલા એ બોધને અનુસરીને તમને મદદરૂપ થવા તૈયાર થઈ અને સદભાગ્યે તમારું કામ પાર પડાવી શકી એથી મને લાગ્યું કે આજે મારી જિંદગી સાર્થક થઈ અને મારા પપ્પાની પ્રેરણા મને ફળી.

નારણદાસ ભાઈ ના માનસપટલ પર એક અંધારું છવાઈ ગયું, એટલે બંધ થઈ ગયેલી બંને આંખોથી અશ્રુધારા એટલી બધી વહેવા માંડી કે આંખોથી સરકીને હોઠ પર અને હોઠથી સરકી ને ગળા સુધી ઉતરી ગઈ, ગળે ડૂમો ભરાઈ ગયો, હોઠ સિવાઈ ગયા, અને બસ ફક્ત હાથ જોડી ને મિતાલી સામે નતમસ્તકે ઉભા રહ્યા.
                  લેખક - શરદ મણીયાર (પુણે મહારાષ્ટ્ર)

"Conclusion:
નવીનતમ અપડેટ્સ માટે અમારું homepage ચેક કરશો, આ પોસ્ટની મુલાકાત લેવા બદલ આભાર, પ્રેરણાદાયી વાંચન, આયુર્વેદથી આરોગ્ય, પ્રકૃતિનું જતન જેવી લોકોપયોગી અને હળવી મનોરંજન પોસ્ટ માટે અમારી સાથે જોડાયેલા રહો.🌺 —— "આપના પ્રતિભાવ ... નીચે આપેલ કોમેન્ટ બોક્સમાં આપી શકો છો ..!!

Post a Comment

Previous Post Next Post