દુઃખનું ઓસડ દહાડા ( Dukhnu Osad Dahada)

"દુઃખનું ઓસડ દહાડા" 
********************** લેખક - શરદ મણીયાર

લગભગ ૪૫ વર્ષના ખૂબ જ સુખી દાંપત્ય જીવનનો આમ અણધાર્યો અંત આવશે એવું મનુભાઈએ કદી સ્વપ્નમાં પણ વિચાર્યું ન હતું એનો કલ્પાંત આજે પત્ની લક્ષ્મીના કાયમી વિદાયના બારમાં દિવસે પણ એમને એટલો જ વસમો લાગી રહ્યો હતો.

આવકાર વેબસાઇટ
દુઃખનું ઓસડ દહાડા - શરદ મણિયાર

 "દો હંસો કા જોડા બિછડ ગયો રે, ગજબ ભયો રામા જુલમ ભયો રે". એક દિવસ રેડિયો ઉપર પર આ ગીત સાંભળતા હતાં ત્યારે તેઓએ લક્ષ્મીને પૂછ્યું હતું કે, "હે લચ્છુ, જો સાચે જ આવું બની જશે તો તું શું મારા વગર જીવી શકીશ?". ત્યારે લક્ષ્મીએ પણ ઠાવકાઈથી અને નિર્દોષ ભાવે મનુભાઈ ને પૂછ્યું હતું, "મન, તમે એવું ધારી જ કેમ લ્યો છો કે તમે જ મારા કરતા પહેલા જતા રહેશો?" "કારણ કે હું આવ્યો છું તારા કરતાં પ્હેલાં તો મારે જવું પણ પડશે ને તારા કરતા પ્હેલાં?". 

મનુભાઈ ની દરિયાઈદિલી ને લક્ષ્મીજ પહોંચતી, "માસ્તર સાહેબ, એવું જરાય જરૂરી નથી હો, કોના આયુષ્યની ફિક્સડ ડિપોઝીટ માં ઉપરવાળાએ કેટલા શ્વાસનું બેલેન્સ મૂક્યું છે એ તો ખુદ ખાતેદારને પણ ખબર નથી હોતી, તો એવું પણ બને કે હું જ તમારાથી પહેલા જતી રહું અને તમે જોતા જ રહી જાવ મારી જિંદગી ની ખાલી પાસબુકને". "ના લચ્છુ ના, તો તો હું ઉપરવાળા સામે બંડ પોકારીશ, અનશન પર ઉતરી જઈશ પણ તારા વગર તો એકે'ય પળ નહીં જીવી શકીશ". "મારે આ બાબતમાં તમારી સાથે કોઈ ચર્ચા નથી કરવી, છાનામાના સુઈ જાવને હવે?" લક્ષ્મી નો આ મીઠો ઠપકો હવે એક દીવા સ્વપ્ન બની ગયું હતું.

 એના મધુર અવાજના શબ્દો ના ભણકારા અને એની ઉપસ્થિત નો અહેસાસ મનુભાઈને એમનાં એક એક શ્વાસ માં વર્તાઈ રહ્યો હતો. જીવન દુષ્કર બન્યું હતું. એમની વિવશતા અને લાચારી ની લાગણીઓ લક્ષ્મીની એક ઝલક જોઈ લેવાની માંગણીઓ લઈને જીદે ભરાઈ હતી. પણ ત્યાં જ મમતા વહુના મધુર અવાજે મનુભાઈ ને સજાગ કર્યા, "પપ્પા, ચાલો થોડુંક ખાઈ લ્યો".લથડતા પગે મનુભાઈ ડાઇનિંગ ટેબલ ઉપર પ્હોંચી તો ગયા પણ લક્ષ્મીના હાથનો સ્વાદ માણી ચૂકેલાને વહુના હાથે બનાવેલી રસોઈ કેમેય કરીને ગળે ઉતારી શકાતી નહોતી.

ક્યારેક તેઓ લક્ષ્મીને કહેતા પણ ખરા કે, "લચ્છો, હું તો ફક્ત તારા હાથનું ખાવા માટે જ જીવી રહ્યો છું." પણ આજે એના વગર જીવવા માટે થોડું ખાવું જરૂરી હતું. કારણ કે હવે પુત્ર સુકેતુ, મમતા વહુ અને લાડકો પૌત્ર જીયાન્શ જ એમના જીવવાની જીજીવિષા હતા.

બીજી દિવસે વહેલી સવારે મનુભાઈ ની આંખ ખુલ્લી ત્યારે ઉદાસ મને વિચાર આવ્યો કે પોતે ઘણા દિવસથી નિયમિત રીતે બાજુમાં આવેલા ગાર્ડનમાં વોકિંગ કરવા અને પોતાના અંગત મિત્રો સાથે સત્સંગ કરવા નથી ગયા તો આજે હવે જઈ આવવું જોઈએ. અને પોતાના વિચારોને અમલમાં મૂકીને તેવો પહોંચી ગયા ત્યાં જ્યાં એમના મિત્રોએ એમનું ઉમળકા ભર્યું સ્વાગત કર્યું. 

બધાએ એમને ભેટીને ફરી એકવાર સાંત્વના આપી તો મનુભાઈ એ ગળગળા થઈ હાથ જોડીને સૌનો આભાર વ્યક્ત કર્યો. ત્યાં જ એમના એક વિશેષ મિત્ર જશવંતભાઈ પણ આવી ચડ્યા અને બોલ્યા, "મનુ, આજે તને ક્યાંક લઈ જાવો છે, તો શું તું આવીશ મારી સાથે?". "ક્યાં જવું છે?". મનુભાઈએ સાહજીકતાથી પૂછ્યું તો જશવંતભાઈએ કાંઈ કહેવાનો ઇનકાર કર્યો અને ફક્ત એટલું જ બોલ્યા, "તું એકવાર ચાલ મારી સાથે ત્યાં અને પછી જો ભાભીની જુદાઈ ના ગમ માંથી તું થોડોક હળવો થઈ શકીશ".

બરાબર દસ વાગે જશવંતભાઈ મનુભાઈ ના ઘરે એમની ગાડી લઈને આવી ગયા અને રવાના થયા એક એવા રસ્તે જેની મંઝિલ કદાચ મનુભાઈ ને જીવવાની નવી દિશા બતાવવાની હતી. લગભગ એક કલાકના સફર બાદ એમની કાર જ્યાં પાર્ક થઈ એ જગ્યા જોઈને મનુભાઈ આશ્ચર્યચકિત થઈ ગયા. એ જગ્યાના મુખ્ય પ્રવેશ દ્વાર પર બોર્ડ હતું "અમારું ઘર". 

આ હતું એક વૃદ્ધાશ્રમ જેમાં પ્રવેશતા જ મનુભાઈ અસમંજસની સ્થિતિમાં મુકાઈ ગયા અને આંખના ઈશારે જશવંતભાઈ ને પૂછ્યું કે અહીંયા આપણે શા માટે આવ્યા છીએ. તો જશવંતભાઈ એ હાથ ના ઈશારે એમને ફક્ત ચૂપચાપ એમની પાછળ આવવા જણાવ્યું.‌ વૃદ્ધાશ્રમમાં પ્રવેશ બાદ અહીંના મુખ્ય સંચાલકોએ એમનું અભિવાદન કર્યું. 

ઓપચારિક વાતો કરી, હળવો ચા નાસ્તો પણ કર્યો ને બાદ જશવંતભાઈ અને મનુભાઈ આખા વૃદ્ધાશ્રમની લટાર મારવા નીકળી પડ્યા. એક પછી એક પોત પોતાની રૂમમાં વિશ્રામ ફરમાવી રહેલા દંપતિઓ તથા એકલ-દોકલ નિવાસીઓ સાથે વાર્તાલાપ અને પોતાના વિચારોનું અદાન-પ્રદાન કરવા લાગ્યા અને ખૂબ જ વિનય પૂર્વક જાણવાની કોશિશ કરી કે એવો શા માટે પોતાના પરિવાર છોડીને અહીંયા રહેવા આવ્યા છે. 

તો ખૂબ જ આશ્ચર્યજનક આઘાત સાથે જાણવા મળ્યું કે ઘણા લાચાર દંપતિઓ પોતાનો જીવન નિર્વાહ કરવા માટે પૈસા પણ બચાવી શક્યા ન હતા અને એમના સંતાનો એમને સહાય આપવા અસમર્થ અથવા નીરસ હતા. કોઈના સંતાનોના ઘરમાં જગ્યા ન હતી તો કોઈના સંતાનોના દિલમાં જગ્યા ન હતી એમને રાખવાની. તો કોઈ પોતાના કુપુત્રો નો એમનું ઘર હડપી લેવાની દાનતમાં ક્રૂર અત્યાચાર નો ભોગ બનીને આ વૃદ્ધાશ્રમના શરણે આવ્યા હતા. 

આ રીતે આખો દિવસ આ બધા લોકોની પારિવારિક આપવીતી સાંભળવા આખો દિવસ ક્યાંય પસાર થઈ ગયો એનું મનુભાઈને ભાન જ ન રહ્યું. એ દરમિયાન વૃદ્ધાશ્રમના સંચાલકો સાથે પણ તેમની કાર્યશૈલી તથા સમગ્ર કારોભાર ની પદ્ધતિ વિશે પણ ઘણી ચર્ચા વિચારણા કરતા જણાવ્યું કે એમને આ વૃદ્ધાશ્રમ ચલાવવા માટે ઘણી આર્થિક સહાયની અને અનુભવી લોકોની મદદની જરૂર છે.‌

એ સાંજે ઘરે આવ્યા બાદ પોતાના પરિવાર સાથે જમી પરવારીને વિશ્રામ કરી રહ્યા હતા ત્યારે એમને ખૂબ જ ગંભીર મુદ્રામાં વિચાર મગ્ન થયેલા જોઈને એમના પુત્ર સુકેતુએ પૂછ્યું, "પપ્પા કેમ રહ્યો આજનો તમારો આખો દિવસ? જશુ અંકલ તમને ક્યાં ફરવા લઈ ગયા હતા?". મનુભાઈએ ગંભીર સ્વરે જવાબ આપ્યો, "બેટા હું અને જશુભાઈ એક વૃદ્ધાશ્રમ ની મુલાકાતે ગયા હતા અને ત્યાં આખો દિવસ દરમિયાન અમે જે જોયું અને જાણ્યું એ પછી મેં એક નક્કર નિર્ણય લીધો છે જે હું તમને જણાવવા માંગુ છું". "હા કહો ને પપ્પા". સુકેતુએ ખૂબ જ વિનમ્રતાથી જવાબ આપ્યો.

"બેટા આજે તારી મમ્મીના ગયા ના ૧૩ દિવસ પછી પહેલીવાર હું એના વિયોગના આઘાત માંથી બહાર આવી શક્યો છું. આજે પહેલી વાર એ આશ્રમની મુલાકાત દરમિયાન સમગ્ર દિવસ મને એક પણ ક્ષણ માટે તારી મમ્મી ની યાદ નથી આવી. 

હું એટલો એ લોકોની વાતોમાં, એ લોકોની વ્યથા ભરી કથા સાંભળવામાં એવો ઓતપ્રોત થઈ ગયો હતો કે સમય ક્યાં પસાર થઈ ગયો એનો ખ્યાલ જ ન રહ્યો. ત્યાંના સંચાલકો સાથે પણ ચર્ચા વિચારણા દરમિયાન એ જાણવા મળ્યું કે જો એ વૃદ્ધાશ્રમને થોડીક આર્થિક સહાય મળે અને થોડાક પીઢ અને અનુભવી લોકોનો સાથ મળે તો એ વૃદ્ધાશ્રમને વધુ સારી રીતે ચલાવી શકાય અને ત્યાં રહેવા આવી પડેલા મજબૂર અને લાચાર લોકોને વધુ સારી સુવિધા પૂરી પાડી શકાય.‌ 

એટલે મેં અને જશુભાઈએ એમની સંસ્થામાં જોડાવાનું નક્કી કર્યું છે અને એમને આર્થિક સહાય મળે એ માટે અમે અમારા બધા ઓળખીતા અને જાણીતા લોકોને રૂબરૂ મળીને એક સારી એવી રકમ ભેગી કરવા માંગીએ છીએ.‌" મનુભાઈ ની આ વાત સાંભળીને સુકેતુ અને મમતા વહુ એકદમ અચંબીત થઈ ગયા. પણ સુકેતુએ પોતાની લાગણી પર કાબુ મેળવ્યો અને બોલ્યો, "પપ્પા અમે તમારા આ નિર્ણયનું સમર્થન કરીએ છીએ અને તમારા વિચારોને સન્માન આપીએ છીએ. જે પ્રવૃત્તિ તમને તમારી નિવૃત્તિમાં પણ પ્રસન્ન રાખે અને મમ્મીના વિયોગની પીડા ને સહેવા ની શક્તિ આપે એ તમે જરૂર કરો. 

એ વૃદ્ધાશ્રમના કાર્યકર બનીને એમને સહાયરૂપ થાવ એ વાત ખૂબ જ પ્રશંસનીય છે પણ તેમના માટે આર્થિક સહાય ભેગી કરવા તમે ઘરે ઘરે જઈને ફરો એ અમને મંજૂર નથી." "પણ બેટા એ વૃદ્ધાશ્રમને ખૂબ જ સરસ રીતે ચલાવવા માટે પૈસા ભેગા કરવા માટે આટલો શ્રમ તો લેવો જ પડશે અમારે." મનુભાઈ બોલ્યા. 

"તો પપ્પા એક કામ કરો," સુકેતુએ હવે એક નજર મમતા પર નાખી અને પછી પપ્પાને સંબોધીને બોલ્યો, "તમારા અને મમ્મીના જોઈન્ટ અકાઉન્ટમાં ₹ ૫૦ લાખની જે એફ.ડી. પડી છે એ તોડાવીને વૃદ્ધાશ્રમ ને દાનમાં આપી દો." આ સાંભળીને મનુભાઈ એકદમ હચમચી ગયા. બંને આંખો આશ્ચર્ય સહ પહોળી થઈ ગઈ અને નિઃશબ્દ બની સુકેતુ અને મમતા તરફ જોવા લાગ્યા. 

પછી તરત પોતાની ભાવુકતા ઉપર કાબુ મેળવી અને બોલ્યા, "અરે આ તું શું બોલે છે બેટા? આ પૈસા તો મેં આપણા જીયાન્શ ના ભવિષ્ય માટે સુરક્ષિત રાખ્યા છે. એને પાયલોટ બનવું છે તો આ પૈસા એની પાયલોટની શિક્ષા માટે અમે બચાવી રાખ્યા છે." 

પણ પછી સુકેતુએ જે જવાબ આપ્યો એ સાંભળીને મનુભાઈ તદ્દન અવાચક થઈ ગયા. "પપ્પા તમે અને મમ્મીએ મને ભણાવી ગણાવીને એટલો તો લાયક બનાવ્યો છે કે હું મારી પત્ની અને મારા દીકરાની જવાબદારી ખૂબ જ સારી રીતે નિભાવી શકું. તમે અમારા માટે શું શું કર્યું છે એની બધી ગણતરી છે અમને. તો બસ હવે મારા માટે નું તમારું આ કર્તવ્ય, તમારા બલિદાનો મારા પૂરતા જ સીમિત રાખો. હું મારા પોતાના દમ પર મારા દીકરા જીયાન્શ ને પાયલોટ બનાવવાની કોશિશ કરીશ જ, એના માટે હવે તમારી પસીના ની કમાઈની બચત હું નહીં સ્વીકારું. માટે હવે તમે જે કાર્ય કરવાનો નિર્ધાર કર્યો છે અને જેમાં તમને ખુશી પ્રાપ્ત થતી હોય અને મમ્મીના આમ અચાનક જતા રહેવાનું દુઃખ સહન કરવાની શક્તિ મળતી હોય તો એ શુભ કાર્ય માટે હવે વિના વિલંબે આગળ વધો, અમે તમારી સાથે જ છીએ.‌"

મનુભાઈ ના આંખો માંથી અશ્રુઓ ધોધ બનીને ઊતરી આવ્યા અને ભીંત પર ટાંગેલા લક્ષ્મીના ફોટા સમક્ષ જોઈને સ્વગત એટલું જ બોલ્યા, "સતયુગના શ્રવણ સમા તારા આ સુપુત્ર ની આટલી વાત સાંભળવા પૂરતું તો તારે રોકાઈ જવું હતું."

રૂપિયા ૫૦ લાખ જેવી માતબર રકમ પામીને "અમારું ઘર" ના સંચાલકો ખૂબ જ ઉત્સાહિત થઈ ગયા. વૃદ્ધાશ્રમમાં ઘર મૂળથી ફેરફારો કરાયા. આરોગ્ય અને અન્ય પ્રવૃત્તિઓ માટે ના નવા વોર્ડ ખોલ્યા.

મનુભાઈ માટે હવે આ વૃદ્ધાશ્રમમાં હાજરી આપવી એ એમનો નિત્યક્રમ બની ગયો. ક્યારેક તેઓ થોડાક દિવસ ત્યાં રોકાઈ પણ જતા અને ત્યાંના નિવાસીઓની સેવામાં ખુબ મશગુલ થઈ ગયા. જેમ જેમ દિવસો વીતતા ગયા તેમ તેમ મનુભાઈ લક્ષ્મીના વિયોગનો આઘાત ભૂલતા ગયા અને એ કહેવત સાચી પડી કે "દુઃખનું ઓસડ દહાડા."

            લેખક - શરદ મણીયાર (પુણે મહારાષ્ટ્ર)

"Conclusion:
નવી અપડેટ્સ માટે અમારું homepage ચેક કરશો, આ પોસ્ટની મુલાકાત લેવા બદલ આભાર, ...પ્રેરણાદાયી વાંચન, પ્રકૃતિને અનુરૂપ જીવન વગેરે લોકોપયોગી આર્ટિકલ અને હળવી મનોરંજન પોસ્ટ માટે અમારી સાથે જોડાયેલા રહો.🌺  ____"આપના પ્રતિભાવ ... નીચે આપેલ કોમેન્ટ બોક્સમાં આપી શકો છો ..!!

Post a Comment

Thank you so much for your feedback 😊

Previous Post Next Post