ભેરુબંધ - લઘુકથા

Related

ભેરુબંધ ..!

સુદામા સાથે વાતો કરતાં કરતાં શ્રીકૃષ્ણ ક્યારે તેમના પગ દાબવા લાગ્યા, એ વાતનો સુદામાને ખ્યાલ જ ના રહ્યો!

ભેરુબંધ - લઘુકથા
ભેરુબંધ - લઘુકથા

થાકેલા સુદામા તો ક્યારનાય ઘસઘસાટ ઊંઘી ગયા હતા, પરંતુ કૃષ્ણ પોતાના જ વિચારોમાં લીન થઈને તેમના પગ દાબતાં દાબતાં બાળપણની વાતો કરતા જતા હતા!! એટલામાં જ પાછળથી આવીને રુક્મિણીએ તેમના ખભા પર હાથ મૂક્યો!

કૃષ્ણ એકદમ ચોંકી ગયા અને પહેલાં તેમણે રુક્મિણીને જોયા, પછી સુદામાને જોયા, અને વાત સમજીને ધીમેથી ત્યાંથી ઊભા થઈ પોતાના કક્ષમાં આવી ગયા!!

કૃષ્ણની આવી લીન અને ભાવુક અવસ્થા જોઈને રુક્મિણીથી રહેવાયું નહિ. તેમણે પૂછ્યું, “સ્વામી, આજે તમારું વર્તન બહુ જ અદભુત અને કંઈક અલગ જ લાગી રહ્યું છે!”

“તમે, જ્યારે આ દુનિયાના સૌથી મોટા સમ્રાટ દ્વારકા આવે ત્યારે પણ જરાય પ્રભાવિત થતા નથી, તે તમારા મિત્રના આગમનની જાણ થતાં જ એટલા ભાવવિભોર થઈ ગયા કે ભોજન પડતું મેલીને ઉઘાડા પગે તેને લેવા દોડી ગયા!!”

“તમે, જેમને કોઈ દુઃખ, કષ્ટ કે પડકાર ક્યારેય રડાવી શક્યા નથી, અહીં સુધી કે ગોકુળ છોડતી વખતે માવડી યશોદાના આંસુ જોઈને પણ તમે ન રડ્યા! તે તમે તમારા મિત્રના જીર્ણ-શીર્ણ અને કાંટા વાગેલા ઘાયલ પગ જોઈને એટલા ભાવુક થઈ ગયા કે તમારા આંસુઓથી જ તેના પગ ધોઈ નાખ્યા!!”

“કૂટનીતિ, રાજનીતિ અને જ્ઞાનના શિખર પુરુષ એવા તમે, તમારા મિત્રને જોઈને એટલા મગ્ન થઈ ગયા કે કોઈ પણ વિચાર કર્યા વિના તેને ત્રિલોકની સમસ્ત સંપત્તિ અને સમૃદ્ધિ આપી દેવાનું નક્કી કરી લીધું!”

કૃષ્ણ પોતાની એ જ આનંદિત અને સ્નેહાળ અવસ્થામાં હસીને બોલ્યા, “તે મારો બાળપણનો ભેરુબંધ છે, રુક્મિણી!!” “પણ બાળપણમાં તો તેમણે ગુરુમાતાએ તમને બંનેને વહેંચીને ખાવા આપેલા ચણા પણ તમારી પાસેથી છુપાવીને એકલા જ ખાઈ લીધા હતા ને?” સત્યભામાએ પણ પોતાની જિજ્ઞાસા વ્યક્ત કરતાં પૂછ્યું!

કૃષ્ણ એકદમ મીઠું સ્મિત કરતાં બોલ્યા, “સુદામાએ એવું કાર્ય કર્યું છે, સત્યભામા, કે સમગ્ર સૃષ્ટિએ તેનો આભાર માનવો જોઈએ!!”

"તેણે એ ચણા ભૂખને કારણે નહોતા ખાધા, પરંતુ એટલે ખાધા હતા કે તે નહોતો ઇચ્છતો કે તેનો મિત્ર કૃષ્ણ જીવનમાં ક્યારેય દરિદ્રતા જુએ! તેને ખબર હતી કે એ ચણા આશ્રમમાં ચોર લોકો છોડી ગયા હતા, અને તેને એ પણ ખબર હતી કે એ ચોરોએ એ ચણા એક ગરીબ બ્રાહ્મણીના ઘરમાંથી ચોર્યા હતા!!"

"તેને એ પણ ખબર હતી કે એ બ્રાહ્મણીએ શ્રાપ આપ્યો હતો કે જે કોઈ આ ચણા ખાશે, તે જીવનભર દરિદ્ર જ રહેશે!"

"સુદામાએ એ ચણા મારી પાસેથી છુપાવીને ખાધા જેથી હું હંમેશા સુખી રહું!! તે મને ઈશ્વરનો અંશ માનતો હતો, તેથી તેણે એ ચણા ખાઈ લીધા, કારણ કે તેને લાગ્યું કે જો ઈશ્વર જ દરિદ્ર થઈ જશે તો તો સમગ્ર સૃષ્ટિ જ દરિદ્ર થઈ જશે!"

"સુદામાએ સમગ્ર સૃષ્ટિના કલ્યાણ માટે પોતે દરિદ્ર બનવાનું હસતા મુખે સ્વીકારી લીધું હતું!!"

“આટલો મોટો ત્યાગ...!” રુક્મિણીના મોઢેથી અનાયાસે જ નીકળી ગયું. “મારો મિત્ર બ્રાહ્મણ છે, રુક્મિણી, અને સાચો બ્રાહ્મણ હંમેશા જ્ઞાની અને ત્યાગી જ હોય છે!!” કૃષ્ણએ આગળ કહ્યું.

"એમના હૃદયમાં જનકલ્યાણની ભાવના કૂટ કૂટીને ભરેલી હોય છે, અને એકાદ અપવાદોને છોડીએ તો બ્રાહ્મણો સ્વભાવે આવા જ હોય છે!"

"હવે તમે જ કહો, એવા મિત્ર માટે હૃદયમાં પ્રેમ ન જન્મે તો બીજું શું જન્મે, પ્રિયે? ગોકુળ છોડતી વખતે હું એટલે ન રડ્યો કારણ કે જો હું રડતો તો મારી માવડી યશોદા તો પ્રાણ જ છોડી દેત!!"

"પરંતુ મારા મિત્રના એવા પગ જોઈને, તેમાં એવા ઘાવો અને ચીરા જોઈને મારું હૃદય ભરાઈ આવ્યું, રુક્મિણી!"

"એના પગમાં આવા ઘાવો અને જીવનમાં આવી દશા માત્ર એટલે જ થઈ, કારણ કે તે પોતાના આ મિત્રનું હંમેશા ભલું ઇચ્છતો હતો!! જાણે છે રુક્મિણી, પરિવારને છોડીને કોઈએ પણ આ કૃષ્ણનું આટલું ભલું ક્યારેય નથી ઇચ્છ્યું!"

"લોકો તો મારી પાસે માત્ર પોતાનું ભલું કરવાની જ અપેક્ષા રાખે છે, બસ, સુદામા જેવા મિત્રો જ એવા હોય છે કે જે પોતાના મિત્રના સુખ માટે સ્વેચ્છાએ દરિદ્રતા અને કષ્ટની કામળી ઓઢી લે છે!!"

"એવા મિત્રો બહુ દુર્લભ હોય છે અને ન જાણે કયા પુણ્યોના ફળરૂપે મળે છે! હવે એવા મિત્રને જો ત્રિલોકની સમસ્ત સંપત્તિ પણ આપી દેવામાં આવે, તો પણ તે ઓછી જ પડશે!!" કૃષ્ણ અત્યંત ભાવુક અને ભારે અવાજમાં બોલ્યા.

અહીં કક્ષમાં વાતો સાંભળીને બધી રાણીઓની આંખો ભીની થઈ ગઈ હતી અને ત્યાં કક્ષની બહાર ઉંબરે ઊભેલા સુદામાની આંખોમાંથી ગંગા-યમુના વહી રહી હતી!!

સાચી મિત્રતા એ જ હોય છે જ્યાં સ્વાર્થ નહીં, પરંતુ ત્યાગ અને નિસ્વાર્થ પ્રેમ વસતો હોય!
ધન, વૈભવ અને સામર્થ્ય એ બધું જ સાવ નાનું પડી જાય છે, જ્યારે હૃદયમાં આવો નિખાલસ પ્રેમ અને અતૂટ લાગણી હોય!!

આલેખન: હરેકૃષ્ણ…

Thanks for visit this Post, Be sure to check out our homepage for the Latest Posts and Stay connected with us for more Posts.

Post a Comment

Thank you so much for your feedback 😊

Previous Post Next Post
"વેબસાઈટ પર નવા મિત્રો આ ખાસ વાંચો ☞ વધુ વાંચન માટે નવલકથાઓ વાંચવી ગમતી હોય તો આ વેબસાઈટને નીચે સુધી સ્ક્રોલ કરી 'Main Tegs' ની નીચે આપેલ કેટેગરીમાં જે તે નવલકથાના નામ પર ક્લિક કરી વાંચવાનું શરુ કરી શકો છો. એકએક થી ચડિયાતી નવલકથાઓ અહી વાંચવા મળશે."